કાઉન્સિલના નિર્ણય સામે હિંદુ સમાજ હાઈકોર્ટમાં

મુખ્ય અંશો:
- હરાજીની પ્રક્રિયામાં ગંભીર ખામીઓ હોવાનો આરોપ, હાઈકોર્ટ દ્વારા વચગાળાનો સ્ટે
- મંદિર બંધ થવાથી 4,000 થી વધુ હિંદુઓએ પૂજા માટે 56 કિમી દૂર જવું પડશે
- “અમારો વિરોધ મુસ્લિમ સંસ્થા સામે નહીં, પરંતુ કાઉન્સિલની અપારદર્શક નીતિ સામે છે” – ભારત હિંદુ સમાજ
લંડન: બ્રિટનની રાજધાની લંડનથી 120 કિલોમીટર દૂર આવેલા પીટરબરો શહેરમાં 40 વર્ષ જૂના હિંદુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના વેચાણને લઈને મોટો વિવાદ સર્જાયો છે. પીટરબરો સિટી કાઉન્સિલે ‘ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સ’ની હરાજી કરીને તેને એક મુસ્લિમ સંસ્થા ‘યુનાઇટેડ કિંગડમ ઇસ્લામિક મિશન’ને વેચવાનો નિર્ણય લીધો છે. આ જ પરિસરમાં ‘ભારત હિંદુ સમાજ’ દ્વારા સંચાલિત મંદિર આવેલું છે, જે સ્થાનિક હિંદુઓનું મુખ્ય આસ્થા કેન્દ્ર છે. કાઉન્સિલના આ નિર્ણય સામે ભારત હિંદુ સમાજે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
હરાજી અને પ્રક્રિયા પર ઉઠ્યા ગંભીર સવાલો
ભારત હિંદુ સમાજ સંગઠને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સિટી કાઉન્સિલે મંદિરની 40 વર્ષ જૂની ધાર્મિક અને સામુદાયિક ભૂમિકાને સંપૂર્ણપણે અવગણી છે. સંગઠનના મુખ્ય આક્ષેપો નીચે મુજબ છે:
- ભૂલભરેલી સમીક્ષા: વેચાણ દરમિયાન બંને પક્ષોની બોલીઓનું યોગ્ય મૂલ્યાંકન કરાયું નથી. કાઉન્સિલે સ્કોરિંગ અને તપાસમાં ગંભીર ભૂલો કરી છે.
- આંધળું સમર્થન: કાઉન્સિલના સભ્યોએ હરાજીની ભલામણોને કોઈપણ પ્રકારની તપાસ કે સમીક્ષા કર્યા વિના જ મંજૂરી આપી દીધી.
- મુસ્લિમ સંસ્થા સામે કોઈ દ્વેષ નહીં: મંદિર પ્રબંધને સ્પષ્ટતા કરી છે કે તેમનો વિરોધ સંપત્તિ ખરીદનાર મુસ્લિમ સંસ્થા સામે બિલકુલ નથી, પરંતુ કાઉન્સિલની ગેરવાજબી પ્રક્રિયા સામે છે.
આ મામલે ફેબ્રુઆરી 2026માં હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપતા સિટી કાઉન્સિલને વેચાણની પ્રક્રિયા આગળ વધારતા રોકી દીધી છે. હાલમાં ન્યાયિક સમીક્ષા ચાલી રહી છે, જેમાં કોર્ટ એ તપાસશે કે સંપત્તિ વેચવાનો નિર્ણય કાયદા અને સમાનતાના નિયમો મુજબ હતો કે કેમ.
હિંદુ સમુદાય માટે મુશ્કેલી: 56 કિમીનો ધક્કો પડશે
પીટરબરોનું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ આસપાસના વિસ્તારમાં વસતા આશરે 4,000 હિંદુઓ માટે તે એકમાત્ર સામાજિક-સાંસ્કૃતિક કેન્દ્ર છે. જો કાઉન્સિલ આ પરિસરને વેચી દેશે અને મંદિર બંધ થશે, તો સ્થાનિક હિંદુ સમુદાયે પૂજા-અર્ચના કે તહેવારોની ઉજવણી માટે ફરજિયાતપણે 56 કિમી દૂર આવેલા કેમ્બ્રિજ અથવા 64 કિમી દૂર આવેલા લેસ્ટર શહેરના મંદિરોમાં જવું પડશે. સંગઠનનું કહેવું છે કે આ મામલો માત્ર પૈસાનો કે ઊંચી બોલીનો નથી, પરંતુ લોકોની ધાર્મિક આસ્થાનો છે.
બ્રિટનની કાઉન્સિલો કેમ વેચી રહી છે સંપત્તિઓ?
પીટરબરોનો આ વિવાદ બ્રિટનમાં કોઈ એકલદોકલ કિસ્સો નથી. બ્રિટનભરમાં સ્થાનિક કાઉન્સિલો ભારે આર્થિક સંકટનો સામનો કરી રહી છે. વધતા ખર્ચ અને સરકાર તરફથી મળતી નજીવી આર્થિક મદદને કારણે કાઉન્સિલો પોતાનું બજેટ સરભર કરવા સામાજિક પરિસરો, સ્પોર્ટ્સ સેન્ટરો અને કોમ્યુનિટી ભવનો વેચી રહી છે.
- 2025ના ‘કી સિટીઝ’ સર્વે મુજબ, બ્રિટનની 60% કાઉન્સિલો પોતાની આર્થિક ખોટ પૂરી કરવા સંપત્તિઓ વેચી રહી છે.
- બર્મિંગહામ કાઉન્સિલે પોતાનું 2024-25નું બજેટ સંતુલિત કરવા માટે રૂ. 2,883 કરોડની સંપત્તિઓ વેચવાનું લક્ષ્ય રાખ્યું છે.
- નોટિંગહામ કાઉન્સિલની 2025-26ની આર્થિક ખોટ જ રૂ. 267 કરોડ છે અને આગામી ચાર વર્ષનો તફાવત રૂ. 689 કરોડ આંકવામાં આવ્યો છે. આ ખોટ પૂરી કરવા ત્યાં પણ જાહેર સંપત્તિઓ વેચાઈ રહી છે.
હાલ સમગ્ર બ્રિટનના હિંદુ સમુદાયની નજર હાઈકોર્ટના આગામી ચુકાદા પર ટકેલી છે.



