ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ (BRP) દ્વારા અગત્યની જાહેરાત
ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ (BRP) દ્વારા આગામી ચૂંટણીને લઈ રણશિંગુ ફૂંક્યું

ગાંધીનગર:
ભારતીય રાષ્ટ્રવાદી પક્ષના નેતૃત્વ હેઠળ આજે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ગુજરાતના પાટનગરમાંં આવેલ સેક્ટર-7ના ભારતમાતા મંદિરથી શરૃઆત કરી. જેમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા ગુજરાત સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી હતી અને આગામી ગાંધીનગર મહાનગરપાલિકા તથા ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી અંગે પક્ષની રણનીતિ અને એજન્ડા સ્પષ્ટ કરવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ડૉ. કલ્યાણસિંહ ચંપાવતની નિમણૂક
આ પત્રકાર પરિષદમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પટેલે ડૉ. કલ્યાણસિંહ ચંપાવતને ભારતીય રાષ્ટ્રવાદી પક્ષના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.
આગામી ચૂંટણીઓ લડવાની જાહેરાત
પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે:
આગામી ઓક્ટોબર મહિનામાં યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ પૂર્ણ જોશથી ભાગ લેશે.
આગામી ડિસેમ્બર ૨૦૨૭ માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે.
ભારતીય રાષ્ટ્રવાદી પક્ષના મુખ્ય ધ્યેયો અને સંકલ્પો
ભ્રષ્ટાચાર મુક્ત શાસન : દેશ અને રાજ્યમાંથી ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવો.
લાયકાતયુક્ત પ્રશાસન (આરક્ષણનો અંત) : દેશમાંથી જ્ઞાતિવાદ ખતમ કરવા માટે આરક્ષણ (Reservation) નો સંપૂર્ણપણે અંત લાવી માત્ર મેરિટના આધારે પ્રશાસન ચલાવવું.
મફત શિક્ષણ અને આરોગ્ય : દરેક બાળકને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી 100% મફત શિક્ષણ અને તમામ નાગરિકો માટે 100% મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડવી.
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો : ગૌમાતાને રાજ્ય કક્ષાએ ‘રાજ્યમાતા’ અને કેન્દ્ર કક્ષાએ સત્તા પર આવતા જ ‘રાષ્ટ્રમાતા’ તરીકે જાહેર કરવી.
કિસાન અને યુવા લક્ષી બજેટ : પક્ષના શાસનમાં સૌથી પહેલું અને મુખ્ય બજેટ ખેડૂતો અને યુવાનોના કલ્યાણ માટે ફાળવવામાં આવશે.
ઉમેદવારોની પસંદગીના માપદંડ
પક્ષના અધ્યક્ષે જણાવ્યું હતું કે આગામી સમયમાં પક્ષ તરફથી માત્ર એવા જ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે જેઓ :
• શિક્ષિત અને યુવાન હોય.
• બિન-ભ્રષ્ટાચારી અને પ્રમાણિક હોય.
• બિન-સાંપ્રદાયિક, બિન-જ્ઞાતિવાદી અને ગુનાહિત ઇતિહાસ ન ધરાવતા (બિન-અપરાધી) હોય.
પક્ષે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશને મોગલો કે અંગ્રેજોએ જેટલો નથી લૂંટ્યો, તેનાથી વધારે ભ્રષ્ટ રાજકારણીઓએ લૂંટ્યો છે, જેમાંથી દેશને મુક્તિ અપાવવા માટે શિક્ષિત યુવાનોને આગળ લાવવા એ જ પક્ષનો મુખ્ય હેતુ છે.
પત્રકાર પરિષદને સંબોધતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રવાદી પક્ષમાં જ્ઞાતિવાદ આધારિત કોઈ સેલ કે વ્યવસ્થા નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય આવા સેલ ઊભા કરવામાં નહીં આવે તેની અમે ખાતરી આપીએ છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભારતીય સમાજને એકજૂથ રાખવાનો છે. આપણી એક જ જ્ઞાતિ છે- ‘ભારતીય’ અને આપણો એક જ ધર્મ છે- ‘માનવતાનો ધર્મ’.”
તેમણે ગૌમાતા પ્રત્યેની પક્ષની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, “ગૌમાતા એ આપણી રાષ્ટ્રમાતા અને રાજ્યમાતા હોવી જોઈએ. રાષ્ટ્રવાદી પક્ષ જ્યારે પણ સત્તા પર આવશે, ત્યારે ગૌમાતાને કાયદેસર રીતે ‘રાષ્ટ્રમાતા’ તરીકે જાહેર કરવા માટે સંપૂર્ણ પ્રયાસો કરશે.”

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ. કલ્યાણસિંહ ચંપાવતએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ ગુજરાતમાં સંગઠન મજબૂત કરીને ૫,૦૦૦થી વધુ સક્રિય કાર્યકર્તાઓને જોડી ચૂક્યો છે. પક્ષનો મુખ્ય ધ્યેય જ્ઞાતિવાદ, ભાષાવાદ, કે પ્રદેશવાદથી મુક્ત થઈને માત્ર અને માત્ર “રાષ્ટ્રપ્રથમ” અને “ભારત માતા”ની સેવા કરવાનો છે.
મહત્ત્વના નિર્ણયો અને ચૂંટણી એજન્ડા :
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી : આગામી ઓક્ટોબર માસમાં યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ તમામ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. જેમાં સમાનતાના ધોરણે ૨૨ મહિલા અને ૨૨ પુરુષ ઉમેદવારોને તક આપવામાં આવશે.
શિક્ષિત અને નિષ્ણાત ઉમેદવારો : પક્ષ દ્વારા પસંદ કરાયેલા તમામ ૪૪ ઉમેદવારો બિનરાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા, ન્યૂનતમ સ્નાતક (ગ્રેજ્યુએટ) કક્ષાનું શિક્ષણ મેળવેલા, પોતાના ક્ષેત્રના નિષ્ણાતો અને સાચા અર્થમાં સમાજસેવકો હશે. જેથી વહીવટમાં ભ્રષ્ટાચારને નહિવત્ કરી શકાય.
લોકશાહીનું નવું મોડેલ : પક્ષે દાવો કર્યો છે કે, ઉમેદવારોની પસંદગી કોઈ હાઈકમાન્ડ કે વશિષ્ઠાવાદના આધારે નહીં, પરંતુ પ્રજાની પસંદગીને આધારે કરવામાં આવશે.
પ્રજાની ફરિયાદોનું નિવારણ : ચૂંટણી પહેલાં જ પક્ષ દ્વારા દૈનિક ધોરણે પ્રજાની ૫ થી ૨૫ જેટલી લેખિત ફરિયાદો મહાનગરપાલિકા, સચિવાલય તેમજ મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓ સુધી પહોંચાડીને તેના નિકાલ માટે સક્રિય પ્રયાસો કરવામાં આવશે.
વિકાસ બજેટમાં વધારો : ગાંધીનગર મહાનગરપાલિકાનું હાલનું ૧,૯૦૩ કરોડનું બજેટ વધારીને ભવિષ્યમાં પ્રજા પર કોઈ નવો કર લાદ્યા વિના ૪,૦૦૦ કરોડ સુધી લઈ જવાનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે.
વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ની તૈયારી : પક્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડશે. દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી ૫ થી ૧૦ શ્રેષ્ઠ સમાજસેવકો અને પ્રભાવશાળી વ્યક્તિત્વોની પસંદગી કરીને પ્રજા સમક્ષ વિકલ્પ તરીકે મૂકવામાં આવશે. આગામી ૩ થી ૬ મહિનામાં પક્ષ દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ અને ૨૬૫ તાલુકાઓનો પ્રવાસ ખેડીને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.



