દરેક પરિવારે સાથે બેસીને જોવા જેવી વર્ષની સૌથી શાનદાર ફિલ્મ
જીવનની સાચી કિંમત અને સંસ્કારોનો અરીસો: ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ નું હૃદયસ્પર્શી સ્ક્રીનિંગ

ગાંધીનગરના સેક્ટર ૨૧ માં આવેલા ‘આર વર્લ્ડ સિનેમા’ ખાતે ગુજરાતી ફિલ્મ ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ ના કલાકારો સાથે, ગુજરાતી ફિલ્મ રસિકોએ ફિલ્મ નીહાળી
ગાંધીનગર:
તાજેતરમાં જ ગાંધીનગરના સેક્ટર ૨૧ માં આવેલા ‘આર વર્લ્ડ સિનેમા’ ખાતે એક અનોખી અને લાગણીઓથી સભર ગુજરાતી ફિલ્મ ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ નું ભવ્ય સ્ક્રીનિંગ યોજાયું હતું. સારાંશ ક્રિએટિવ પ્રોડક્શન (SARANSH CREATIVE PRODUCTION) ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ વર્તમાન સમાજની આંખો ખોલનારો એક અદભુત અને પાવરફુલ દસ્તાવેજ છે. સુપ્રસિદ્ધ કથાબીજ અને દિગ્દર્શક રાજેન્દ્ર વ્યાસ, નિર્માતા યશ વ્યાસ અને સહ-નિર્માતા જીગ્નેશ જાની દ્વારા પ્રસ્તુત આ મૂવી સિનિયર સિટીઝન્સના ગૌરવ અને ખુમારીની વાર્તાને અત્યંત સચોટ રીતે રજૂ કરે છે.
વર્તમાન સમયની કડવી વાસ્તવિકતા અને જનરેશન ગેપ પર જોરદાર પ્રહાર
ફિલ્મની વાર્તા આજના સમયના સૌથી ગંભીર વિષય – ‘જનરેશન ગેપ’ અને નવી પેઢીની બદલાતી વિચારધારા પર આધારિત છે. માતા-પિતા પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને ઘડતર માટે આખી જિંદગી કેટલા કષ્ટો વેઠે છે, કેટલી મહેનત કરે છે અને પોતાના સુખનો ત્યાગ કરે છે, તેનું ખૂબ જ લાગણીસભર ચિત્રણ અહીં કરવામાં આવ્યું છે. પરંતુ એ જ દીકરો જ્યારે મોટો થાય છે, તેના લગ્ન થાય છે, ત્યારે તેની વિચારધારા બદલાઈ જાય છે. આજની પેઢી માતા-પિતાના એ અગણિત ત્યાગ અને બલિદાનને ભૂલીને તેને માત્ર એક ‘ફરજ’ સમજી બેસે છે. આ કડવા સત્યને ફિલ્મમાં અદભુત અને કાળજું કંપાવી દે તેવા દૃશ્યો સાથે કંડારવામાં આવ્યું છે.
બાળકોમાં સંસ્કારોનું સિંચન અને યુવા પેઢી માટે જાગૃતિનો સંદેશ
આ ફિલ્મ માત્ર વડીલો માટે જ નહીં, પણ આખા પરિવાર માટે એક મહાસંસ્કાર કેન્દ્ર સમાન છે. ફિલ્મ જોયા પછી:
નાના બાળકોમાં : વડીલો પ્રત્યે પ્રેમ અને સંસ્કારોનું સિંચન થશે.
યુવા પેઢીમાં : એક નવી જાગૃતિ આવશે, તેઓ સોશિયલ મીડિયા અને આધુનિકતાના મોહમાંથી બહાર આવીને પોતાના માતા-પિતાની લાગણીઓનો આદર કરતા શીખશે.
સિનિયર સિટીઝન્સને : આ ફિલ્મ એક નવો આત્મવિશ્વાસ આપશે કે ઉંમરના ગમે તે પડાવે પણ હિંમત હારવાની નથી, કારણ કે ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’! વડીલોને પોતાની જિંદગી સ્વાભિમાન અને ખુમારીથી કેવી રીતે જીવવી તેની પ્રેરણા મળશે.
હૃદયના તાર ઝણઝણાવતું ગીત : ‘મા-બાપને ભૂલશો નહીં’
ફિલ્મની વાર્તાને વધુ જીવંત અને હૃદયસ્પર્શી બનાવવામાં તેના ગીતનો બહુ મોટો ફાળો છે. સનાતન સત્ય સમાન પૂજ્ય દીપકભાઈ બારડોલીકર લિખિત અમર ભજન આ ફિલ્મની આત્મા છે, જે થિયેટરમાં બેઠેલા દરેક દર્શકની આંખો ભીની કરી દે છે :
“ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં.
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જન ના કાળજા, પથ્થર બની કંપાવશો નહીં… ભૂલો ભલે બીજું બધું…
મુખેથી બોલી શકતા નહોતા, ત્યારે સ્તનપાન એણે કરાવ્યું,
એ મુખેથી આજે મા-બાપને, તુત્કાર તું આપશો નહીં… ભૂલો ભલે બીજું બધું…
હરતા ફરતા શીખવ્યું જેણે, આંગળી પકડીને તારી,
એ લાકડીના ટેકે ચાલતા વડીલને, તું કદી ઠોકરાવશો નહીં… ભૂલો ભલે બીજું બધું…
પોતે ભીનામાં સુઈને, જેણે પોઢાડ્યા તને સુકામાં,
એ મા-બાપની આંખોમાં, આંસુ કદી તું લાવશો નહીં… ભૂલો ભલે બીજું બધું…
ધન કમાતા તો કમાયા, પણ સંસ્કાર જો ખોઈ નાખ્યા,
એવા લાખો રૂપિયા કમાયા તોય, તું કાંઈ કમાયો નહીં… ભૂલો ભલે બીજું બધું…
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં.”
શા માટે આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ? (અમારો અભિપ્રાય)
આજકાલ જ્યારે સિનેમા જગતમાં માત્ર ધમાલ-મસ્તી અને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બતાવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજેન્દ્ર વ્યાસ અને તેમની ટીમે આવો સામાજિક અને પારિવારિક વિષય પસંદ કરીને ખૂબ જ હિંમતભર્યું અને સરાહનીય કામ કર્યું છે. ફિલ્મની વાર્તા, કલાકારોનો જીવંત અભિનય અને લાગણીઓથી સભર સંવાદો સીધા હૃદયને સ્પર્શી જાય છે.
જો તમે તમારા બાળકોને સાચા સંસ્કાર આપવા માંગતા હોવ અને પરિવારમાં પ્રેમની સુવાસ જાળવી રાખવા માંગતા હોવ, તો આ શાનદાર ગુજરાતી ફિલ્મ આખા પરિવાર સાથે થિયેટરમાં જઈને અચૂક નિહાળો.આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પણ જીવન જીવવાની એક સુંદર પાઠશાળા છે!



